Menu

પ્રકટીકરણ 13

IRV

1 પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં. 2 જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં. 3 મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી; 4 તેણે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, ‘હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?’" 5 બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. 6 તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે. 7 તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. 8 જેઓનાં નામ સૃષ્ટિના સર્જનથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની ઉપાસના કરશે. 9 જો કોઈને કાન હોય તો તે સાંભળે. 10 જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈને તલવારથી મારી નાંખવામાં આવે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ. 11 પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના શિંગડાં જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું. 12 પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે. 13 તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. 14 હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, ‘જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.’" 15 તેને, એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે. 16 વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે; 17 વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાય-લેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે. 18 આમાં ચાતુર્ય રહેલું છે. જે જ્ઞાની છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate