Menu

અયૂબ 18

IRV

1 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે, 2 “તારા શબ્દોનો અંત લાવ. વિચાર કરો અને પછી અમે વાત કરીશું. 3 અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ? અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ? 4 તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે? 5 હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે; તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે. 6 તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે; તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે. 7 તેનાં પગલાં મંદ પડી જશે. તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે. 8 તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે. 9 ફાંદો તેના પગની પાની પકડી લેશે , અને ફાંદો તેને ફસાવશે. 10 જમીનમાં તેને સારુ જાળ; અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે. 11 ચારેકોર ભય તેને ગભરાવશે; તે તેની પાછળ પડશે. 12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે. વિનાશ તેની પડખે તૈયાર રહેશે. 13 તે તેના શરીરની ચામડીને કોરી ખાશે. ભયંકર રોગ તે અવયવોને નાશ કરશે. 14 પોતાનો તંબુ કે જેના પર તે વિશ્વાસ રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે; અને તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે. 15 જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે; એના તંબુ પર ગંધક છાંટવામાં આવશે. 16 તેની નીચેથી મુળિયાં સુકાઈ જશે; તેની ઉપરની ડાળીઓ કાપી નંખાશે. 17 તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે. અને ગલીઓમાં તેનું નામનિશાન રહેશે નહિ. 18 પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે. 19 તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે. 20 જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેનાં દુર્દશાના દિવસ જોઈને આશ્ચર્ય પામશે. અને પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે . 21 નિશ્ચે દુષ્ટ લોકોનાં ઘર એવાં જ છે. જેને ઈશ્વરનું ડહાપણ નથી તેની દશા એવી જ છે.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate