Menu

પ્રેરિતોનાં કૃત્યો 12

IRV

1 આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. 2 તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. 3 યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા. 4 તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો. 5 તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી. 6 હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા. 7 ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી. 8 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ. 9 તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું. 10 તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો. 11 જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે. 12 પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘરે આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. 13 તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી. 14 તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે. 15 તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે. 16 પણ પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો; અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. 17 પણ પિતરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો; અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું, તેમણે કહ્યું કે, એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો. 18 સૂર્યોદય થયો ત્યારે સિપાઈઓમાં ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ કે, પિતરનું શું થયું હશે? 19 હેરોદે તેની શોધ કરી, પણ તે તેને મળ્યો નહિ, ત્યારે તેણે ચોકીદારોને પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો; પછી યહૂદિયાથી નીકળીને હેરોદ કાઈસારિયામાં ગયો, અને ત્યાં રહ્યો. 20 હવે તૂરના તથા સિદોનના લોક પર હેરોદ ઘણો ગુસ્સે થયો હતો; પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા, અને રાજાના મુખ્ય સેવક બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સુલેહની માગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો. 21 પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું. 22 ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી. 23 તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો. 24 પણ ઈશ્વરનું વચન પ્રસરતું અને વૃદ્ધિ પામતું ગયું. 25 બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate