Menu

તિમોથીને પહેલો પત્ર 6

IRV

1 જેટલાં દાસ તરીકે ઝૂંસરી તળે છે તેઓએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, કે જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિરુદ્ધ દુર્ભાષણ થાય નહિ. 2 તદુપરાંત જેઓનાં માલિકો વિશ્વાસી છે, તેઓ ભાઈઓ છે તેથી તેઓને તુચ્છ ગણવા નહિ, પણ તેમની સેવા કરવી, કેમ કે જેઓ સેવા પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય છે. એ વાતો શીખવ અને સમજાવ. 3 જો કોઈ અલગ શિક્ષણ આપે છે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચન તથા ભક્તિભાવ પ્રમાણે જે શુદ્ધ શિક્ષણ છે, તેને સંમત નથી, 4 તો તે અભિમાની છે, અને કંઈ જાણતો નથી, પણ તે વાદવિવાદ અને શાબ્દિક તકરારોથી પીડાય છે કે જેમાંથી અદેખાઈ, ઝઘડા, નિંદા, દુષ્ટ શંકાઓ ઊપજે છે, 5 અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે. 6 પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે; 7 કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી. 8 પણ આપણને જે અન્ન અને વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ. 9 જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે. 10 કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે. 11 પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ. 12 વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે. 13 ઈશ્વર જે સઘળાંને જીવન આપે છે તેમની સમક્ષ તથા ખ્રિસ્ત ઈસુ જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની આગળ હું તને આગ્રહથી ફરમાવું છું કે, 14 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવા સુધી તું ઠપકારહિત તથા નિષ્કલંક રીતે આ આજ્ઞા પાળ. 15 જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે, 16 તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન. 17 આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે; 18 કે તેઓ ભલું કરે, સારાં કામોમાં સમૃદ્ધ બને, આપવામાં ઉદાર તેમ જ બીજાઓ સાથે વહેંચવામાં તૈયાર થાય; 19 ભવિષ્યને સારું પોતાને માટે પૂંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે. 20 હે તિમોથી, તને જે સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી ખાલી બકવાસથી તથા વિરોધાભાસી વિચારધારાઓ જેને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે, 21 જેને માનીને કેટલાક વિશ્વાસથી દૂર ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate